કર્તવ્યપરાયણ / ICUમાં દાખલ કોરોનાગ્રસ્ત તબીબે પોતાની ઓક્સિજન પાઇપ કાઢી અન્ય દર્દીને વેન્ટીલેટર પર ચઢાવવામાં મદદ કરી
સુરત. અડાજણ ખાતે આવેલી હોસ્પિટલના કોવિડ-19 આઇસીયુમાં સંક્રમિત બનેલાં ડોકટર, દર્દી અને યમરાજ વચ્ચે જાણે ત્રિકોણીય જંગ થયો. એક દર્દીનું ઓક્સિજન ઓછું થતું હોય તેને વેન્ટિલેટર પર મૂકવાની ફરજ પડી, આ સમયે હાજર ડોકટર 70 વર્ષીય દર્દીની સાંકળી શ્વાસનળીના લીધે તેમને વેન્ટીલેટર પર ચઢાવવાની જહેતમ કરતા રહ્યા, સફળતા મળીં નહી. દર્દીને તાત્કાલિક મદદની જરૂર હતી. આઇસીયુમાં ત્યારે એક એનેસ્ટેથિક હાજર હતા, પરંતુ તેઓ હાઇફ્લો ઓક્સિજન પર હતા. આ બધુ જોઇ તેમનાથી રહેવાયુ નહી અને ઓક્સિજન પાઇપ કાઢી ઊભા થઈને વેન્ટીલેટર પર દર્દીને ચઢાવી તેનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
અનેક પ્રયત્નો છતાં દર્દીને વેન્ટિલેટર પર ચઢાવાતો નહતો
વાત ડો. સંકેત પટેલની છે જેઓ હાલ અડાજણની ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે. ડોકટર સંકેત એનેસ્થેટીસ્ટ છે અને પોતાની ડયૂટી દરમિયાન જ તેઓ કોરોના સંક્રમિત થયા હતા. દરમિયાન કોવિડ આઇસીયુમાં એ રાત્રિએ જ્યારે નજીકના એક બેડ પરના દર્દીની તબિયત લથડતા તેને વેન્ટિલેટર પર ચઢાવવાની ફરજ પડી હતી. પરંતુ દર્દીની શ્વાસનળી સાંકળી હોય ઉપસ્થિત ડોકટરના અનેક પ્રયત્નો છતાં દર્દીને વેન્ટિલેટર પર ચઢાવાતો નહતો. ઉપરાંત જે તે સમયે હોસ્પિટલમાં કોઈ એનેસ્થેટીસ્ટ પણ હતા નહીં. અને ગણતરીની મિનિટમાં બીજેથી લાવવા પણ શક્ય નહતા. બીજી તરફ આ દર્દીનું ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યુ હતુ. જરૂરી એ હતુ કે તાત્કાલિક આ દર્દીને વેન્ટીલેટર પર ચઢાવવામા આવે.
દરમિયાન, આ દૃશ્ય ડો. સંકેત પણ જોઇ રહ્યા હતા. પરંતુ તેઓ પોતે હાઇ-ફ્લો ઓક્સિજન પર હતા. પરંતુ આખરે જીવ તો ડોકટરનો જ હોય તેઓ ઓક્સિજન સાથે ઊભા થઈ ગયા અને પોતે એનેસ્થેટીસ્ટ પણ હોય તેઓ દર્દી પાસે પહોંચ્યા હતા અને તેને ઇન્ટુબેટ (વેન્ટીલેટર પર ચઢાવી) કરી તેનો જીવ બચાવ્યો હતો. જો કે હજી પણ ડો.સંકેત ICUમાં જ છે.
અન્યોએ ના પાડી હતી
દરમિયાન આઇસીયુમાં જે રીતે ડો. સંકેતે હિમ્મત દાખવી તે દરમિયાન ત્યાં જે અન્ય ડોકટર હતા તેઓએ ઓક્સિજન કાઢીને પોતે જીવ જોખમમાં ન નાંખે એમ જણાવ્યુ હતુ પરંતુ ડો.સંકેતે જીવ સાચવવા કરતાં જીવ બચાવવાને પ્રાધાન્ય આપ્યુ હતુ.
Comments
Post a Comment